કાનમાં કહું ડોક્ટર નરેન્દ્ર વીગને ચંદીગઢમાં તેમના નિવાસસ્થાને મળવાનો મોકો મળ્યો હતો. તેઓ ચંદીગઢ પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચમાં સાઇકિયાટ્રિસ્ટ ડિપાર્ટમેન્ટના એમેરિટ્સ પ્રોફેસર (આજીવન પ્રોફેસર) ખૂબ જ સરસ, સોફેસ્ટિકેટેડ સાલસ, જ્ઞાની પુરુષ માનો કે આધુનિક ઋષિ.
૧૯૬૦માં વીગ સાહેબે પોતાની મેડિકલ પ્રેક્ટિસમાં થોડાક પેશન્ટ્સ જોયા, તેમાં એકસરખાં લક્ષણો હતાં! પણ મેડિકલ લિટરેચરમાં ક્યાંય તેનો ઉલ્લેખ નહોતો. આવા સેક્સની સમસ્યાથી પીડાતા યુવાનો એક ફૂટપાથથી બીજી ફૂટપાથ સુધી સેક્સ સમસ્યાનું નિરાકરણ લાવતા ભટકતા રહેતા. તેમના રિસર્ચને ડો. નેકી, ડો. ગુરુમિત સિંઘ, ડો. નકરા, ડો. વર્મા, ડો. ભાટિયા, ડો. મલિક, ડો. ચઢ્ઢા, ડો. અહુજા, ડો. નટરાજ, ડો. અખ્તર વગેરે.. વગેરેએ પણ પોતાના ક્લિનિકના અનુભવ પરથી પેપર લખી ટેકો આપ્યો. તેમના આ રોગને આપેલા નામનો ‘ધાત સિન્ડ્રોમ’ને ર્ર- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ઇન્ટરનેશનલ ક્લાસીફિકેશ ઓફ ડિસીઝ (આઈએસડી-૧૦)માં ૧૯૯૩માં સ્વીકાર કર્યો.
સુરતમાં બે દિવસનું મેડિકલ અધિવેશન હતું. મારી હોટલ પર ફોન આવ્યો. સામા છેડે બાબુ-બાબુ સંતોષ. બાબુ સંતોષ- પટના પાસેના નાના ગામમાંથી આવ્યો હતો. ડ્રાઇવરની નોકરી કરે. નપુંસકતાની સમસ્યા લઈ મારી પાસે આવેલો. કંટાળીને આપઘાત કરે તેવી મનોદશામાં તેની સમસ્યાનો નિકાલ આવેલો. લગ્ન થયાં પછી લગભગ સાત આઠ વરસે તેનો અવાજ સાંભર્યો.
સાંજે એક નવયુવાનને લઈને મારી પાસે આવ્યો કહે હવે હું શેઠ સાથે સુરતમાં જ સેટલ થઈ ગયો છું. આ મારા મિત્રનો છોકરો છે. તમે જ તેનો ઉપાય શોધી આપો.
લાંબો, પાંતળો યુવાન, શ્યામવર્ણો, બધાં તેને ‘પપ્પુ’ના નામે બોલાવે. તેને ખૂબ જ વિકનેસ લાગે, શરીર તૂટે, ભૂખ ન લાગે. અનિદ્રા, રાતરાતભર વિચારોમાં રહે, કોઈ કામમાં મન ન લાગે, ચિંતાતુર અને ડિપ્રેશ રહે, પસીનો વાત વાતમાં આવે, શરીરમાં ધ્રુજારી આવે, છાતીમાં ધડધડ થયા કરે, હાર્ટનું ધબકવું વધારે થયું હોય તેમ લાગે. આખો દિવસ બેચેન રહ્યા કરે, રડવું આવે- છેલ્લે છેલ્લે આત્મહત્યાના પણ વિચાર આવી ગયેલા, કારણ તેના પેશાબમાં ‘વીર્ય’ જતું હતું.
પેશાબ વાટે ‘વીર્ય’નું જવું જેને ‘ધાતુ’ જાય છે અથવા ‘ધાતુરોગ’ તરીકે ઓળખીએ છીએ. પાકિસ્તાનમાં ‘ઝીરયન’ કહે છે.
આપણા સમાજમાં એવી ગેરમાન્યતા છે કે પેશાબ વાટે ધાતુ-વીર્ય જાય તો માણસ નપુંસક બની જશે, કશાયે કામનો નહીં રહે. આપણી ધાર્મિક અને સામાજિક વિચારસરણીએ પણ આ વાતને ટેકો આપ્યો છે. સાથે સાથે આયુર્વેદમાં પણ ‘વીર્ય’ના આ રીતનો વ્યય વિનાશ નોતરે એ વાતને માન્યતા આપી.
પપ્પુ જેવા કેટકેટલાય યુવાનો એક જાતની ગુનાઈત ભાવના સાથે મરી મરીને જીવ્યા છે. કોઈને કહેવાય નહીં, કોઈ રીતે સહેવાય નહીં.
સાથે સાથે છાપામાની આવી સમસ્યાના નિરાકરણની જાહેરખબરો અને લેભાગુ ઊંટવૈદોની ઠેર ઠેર હોર્ડિગ્ પર જાહેરખબરોનો રાફડા ફાટયા છે. ગુજરાતભરમાં અને ભારતભરમાં.
‘વીર્ય’નું ‘ધાતુ’ નું ઊંઘમાં અથવા સવારે શૌચકર્મ વખતે પેશાબ વાટે નીકળવું એ સાધાણ બાબત છે. રોગ નથી. તેનાથી શરીરને, મનને અને સેક્સની ક્ષમતાને કોઈ નુકસાન થશે નહીં.
No comments:
Post a Comment