Monday, 8 August 2011

યોગ થકી મેળવો સ્વસ્થ લાંબા : વાળનું સૌંદર્ય

માથાના વાળ વગર વ્યક્તિની સુંદરતાની કલ્પના કરવી અતિ મુશ્કેલ છે. લાંબા ઘાટા વાળ નારીની સુંદરતાને નિખારે છે, એ જ રીતે નાના અને વ્યવસ્થિત કપાયેલા વાળમાં પુરૂષ આકર્ષક દેખાઈ શકે છે. આપણા વ્યક્તિત્વમાં વાળનું ઘણું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. આજકાલ પરંપરાગત ભોજન અને સૌંદર્યપ્રસાધનોને લોકો ભૂલી રહ્યા છે અને ખાવા-પીવામાં જોઈતી કાળજી રાખતા નથી, ત્યારે લોકોને વાળની અનેક સમસ્યાઓ સતાવી રહી છે. યુવાનોને નાની ઉંમરે ટાલ પડી રહી છે તો વાળ સફેદ થવાના સંખ્યાબંધ કિસ્સાઓ જોવા મળે છે. આપણા વાળનું નિર્માણમાં પ્રોટીન અગત્યની ભૂમિકા ભજવે છે. જે પ્રોટીનથી વાળ બને છે તેનું નામ કેરોટીનછે. કેરોટીનની ઉત્પત્તિ ખોપડીમાં થતી હોય છે. આપણી ખોપડીની સપાટી નીચે ફોલિકન નામની જેલી હોય છે. આ જેલીથી આપણા વાળ ઊગે છે. આ જ જગ્યાએ તૈલીય ગ્રંથિઓ પણ હોય છે. જેને કારણે વાળમાં નિખાર આવે છે અને વાળ ચમકતા દેખાય છે. વાળની નીચેના ત્રણ પડમાં જ્યારે કોઈ ખરાબી આવે છે ત્યારે માથામાં વાળ ખરવા લાગે છે. તે પછી ધીમે ધીમે ટાલ પડતી જાય છે. દરરોજ આશરે ૫૦થી ૧૦૦ વાળ ખરે છે. જ્યારે વાળ ઝડપથી ખરવા માંડે તો તે વાળના વિવિધ રોગ તરફનો ઇશારો કહેવાય.
માથાના વાળના રોમછિદ્રની રચનાને ત્રણ ભાગમાં વહેંચી શકાય. જેમાંથી એક કાર્ટેક્સનો ભાગ વાળને આકાર, પ્રકાર, માત્રા અને વિસ્તાર આપે છે. આ જ જગ્યાએ વાળને કાળા, ભૂરા, લાલ રંગ આપનાર પિગમેન્ટ હોય છે. ઉંમર વધવાની સાથે સાથે આ પિગમેન્ટમાં પણ ઉણપ આવવા લાગે છે. જેથી વાળ સફેદ થવા માંડે છે. કસમયે વાળ ખરવા, સફેદ થવા એ વારસાગત પણ હોઈ શકે છે. કારણ કે વાળ ખરવાના અને સફેદ થનારા જિન્સ ખાનદાની એટલે કે વારસાગત હોય છે. આ કારણ હોય તો વાળ ખરે કે ટાલ પડે અથવા સફેદ થાય ત્યારે કોઈ પણ પ્રકારના સુધારાનો પ્રયત્ન નકામો નીવડતો લાગે છે.
ચિંતાજનક લક્ષણ
માથાના થોડા ઘણા વાળમાં તો હંમેશાં ખરતાં રહેતા હોય છે, પણ જો વાળ ગુચ્છાના રૂપે ખરે તો વાળ પ્રત્યે સજાગ થવું જોઈએ.
કારણ
* આહારમાં પ્રોટીન, વિટામિન એ, વિટામિન એ, બી, બી-૫, , સિલિકન, લોઢું, આયોડિન, ક્લોરીન, મેગ્નેશિયમ વગેરે તત્ત્વોની ઉણપને કારણે માથાના વાળ ખરવા માંડે છે.
* વાળને હેર ડ્રાયરથી સીધા કરાવવાથી કે મશીનથી વાંકડિયા કરાવવાથી તથા રંગવાથી વાળને નુકસાન થાય છે.
* મહિલાઓમાં અવ્યવસ્થિત હોર્મોનના સ્ત્રાવથી, રજોનિવૃત્તિ વખતે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનમાં ઉણપથી વાળ ખરવા લાગે છે.
ઘરગથ્થુ ઉપચાર
* કેરીની ગોટલીના તેલને વાળમાં લગાવવાથી સફેદ વાળ કાળા થાય છે તથા કાળા વાળ જલદી સફેદ થતાં નથી. વાળ ખરવા કે ખોડાની સમસ્યા હોય તો તેમાં પણ લાભ થાય છે.
અપથ્ય આહાર
* ચટપટા મસાલેદાર, તળેલા, શેકેલા ખાદ્યપદાર્થ ખાવા જોઈએ નહીં.
* ચા, કોફી, ખાંડ વગેરે શક્ય તેટલાં ઓછા પ્રમાણમાં લો.
* મરચાં ઓછાં ખાવા જોઈએ.
આસન તથા વ્યાયામ
આંગળીઓથી માથાની તેલ નાખી સારી રીતે માલિશ કરવી જોઈએ. વાળમાં સૂકી કે તેલની માલિશ કરવી પણ વ્યાયામ ક્રિયા છે. આમ કરવાથી વાળની નિષ્ક્રિયતા, શુષ્કતા અને ખરાબી દૂર થાય છે. માથામાં લોહીનો સારી રીતે સંચાર થવાથી વાળને સારું પોષણ મળે છે.
હલાસન, શીર્ષાસન, સર્વાંગાસન, મત્સ્યાસન કરવાથી માથાની તરફ સ્વાભાવિકરીતે રક્તસંચાર તીવ્ર થાય છે. જેથી વાળને ભરપૂર પોષણ મળે છે અને વાળ ખરતાં બંધ થઈ જાય છે.
 આ ઉપરાંત પશ્ચિમોત્તાસન, ચક્કી ચાલન આસન, જાનુશીર્ષાસન, કૂર્માસન, ઉત્તાનપાદાસન, ઉસ્ટ્રાસન, અર્ધમત્સ્યેન્દ્રાસન, ચક્રાસન, ધનુરાસન, પક્ષી આસન, ભુજંગાસન તથા શલભાસન, કપાલભાતિ, અનુલોમ-વિલોમ અને દીર્ઘ શ્વસન પ્રાણાયામ અને ધ્યાનનો પ્રયોગ કરવો જોઈએ. આવું કરવાથી તણાવજન્ય વાળની બીમારીઓ તો મટે છે. 

No comments:

Post a Comment