અમુક વ્યક્તિઓમાં ૩૦થી ૩૫ વર્ષની ઉંમર પછી જેમની દૈહિક પ્રકૃતિ વાયુપ્રધાન હોય, સ્વભાવ ચિંતાવાળો હોય અથવા તો વિષાદપ્રધાન હોય તો મોટાં આંતરડાંની માંસપેશીઓ અને નાડીઓમાં ગતિશીલતા અથવા વિક્ષોભશીલતા વધી જાય છે. અર્થાત્ તેઓ અધિક સંવેદનશીલ (હાયપર સેન્સિટિવ) થઈ જાય છે. જેથી તેઓ થોડા વિક્ષોભક કે ભારે આહારથી તથા ક્રોધ અને આવેશથી પણ વિક્ષુબ્ધ થઈ જાય છે. તેઓના અતિ વિક્ષોભશીલ થવાથી તેનાં આંતરડાંની શ્લેષ્મ ગ્રંથિઓમાંથી શ્લેષ્મનો સ્ત્રાવ (મ્યુક્સ) અધિક થાય છે. જેથી મળની સાથે આમ ચીકાશ વધારે પડે છે. મળ શુષ્ક ગોળી સ્વરૂપનો હોય છે. આવા દર્દીઓને કબજિયાત અને ચીકાશ (આમ) બંનેની ફરિયાદ રહે છે. આવા ઘણા દર્દીઓને અચાનક જ પાતળા ચીકણા કે ફીણવાળા ઝાડા થઈ જતાં હોય છે. આ કારણોને લીધે તેઓને બહારગામ- પ્રવાસે જવાનો સતત ભય રહ્યા કરે છે.
તેઓને આંતરડાંમાં ધીમા દુખાવા સાથે કે મરોડ સાથે મળત્યાગ થાય છે. મળત્યાગ કષ્ટમુક્ત હોય છે અને પેડુમાં નીચેના ભાગમાં ડાબી બાજુએ કે જમણી બાજુએ દુખાવો થાય છે. તથા પેડુ ભારે રહે છે. આ કારણને લીધે દર્દી પ્રતિદિન કોઈ ને કોઈ વિરેચન ઔષધ લીધા કરે છે, પરંતુ વિરેચક ઔષધોમાં વિક્ષોભક ગુણ હોવાથી ઉદ્વેષ્ટન મરોડની તકલીફ મોટાં આંતરડાની વિક્ષોભશીલતાને લીધે વધી જાય છે. વિરેચન ઔષધથી પાતળા ઝાડા સાથે ચીકાશ- આમ વધારે પડે છે. જેથી દર્દીમાં થાક અને અશક્તિ આવી જાય છે.
કોઈ વ્યક્તિમાં વર્ષો સુધી કબજિયાત, મળત્યાગમાં કષ્ટ તથા સતત ચીકાશ પડવી વગેરે કારણોને લીધે પેટના-પેડુના નીચલા ભાગમાં ખાસ કરીને ડાબી બાજુ દર્દ, બેચેની, અશક્તિ, ચક્કર, તૃષા વગેરે રહે છે. મળત્યાગ અથવા વાછૂટ થઈ જવાથી ચેન પડે છે. તથા મળ તપાસ ટેસ્ટમાં સિસ્ટનાં લક્ષણો ન મળવાથી આ રોગનું નિદાન થઈ શકે છે. આ રોગના ઉપચારમાં દર્દીને સૌપ્રથમ વિક્ષોભક આહારબીજ તથા રેસાવાળાં શાકભાજી અને વિક્ષોભક વિરેચક ઔષધોનો ત્યાગ કરવો જોઈએ. મનને વિક્ષુબ્ધ કરવાવાળાં તથા શરીરને થકવી નાખનારાં મનોદૈહિક કારણોનો ત્યાગ કરવો જોઈએ. વાયુ વધારનાર, રૂક્ષ, ઠંડા, તીખા, તળેલા, વાસી, અથાણા, પાપડ, સોપારી, ચણા, વાલ, વટાણાની ચીજોનો ત્યાગ કરવો જોઈએ. તથા ઉપવાસ, ઉજાગરા, એકટાણાં ન કરવાં, બને ત્યાં સુધી આહાર દ્રવ અને સુપાચ્ય જ પ્રયોજવો.
મર્હિષ ચરકે લખ્યું છે કે કોઈ પણ રોગથી નિર્બળ થયેલ વ્યક્તિ આહાર સંબંધી અત્યાધિક અપથ્ય કરે તથા ભય, ક્રોધ, ચિંતા, શોક વિષાદાદિ ચિંતા, ઉદ્વેગોથી ગ્રસ્ત રહે તો તેનો પાચકાગ્નિ નષ્ટ થઈ જાય છે. જેથી શરીરમાં ત્રણે દોષ પ્રકુપિત થઈને રોગોત્પત્તિ કારણ- મૂળભૂત કારણોનો ત્યાગ કરવો અને ઉચિત પરેજી સાથે અથવા દોષાનુસાર પરેજી સાથે નીચે પ્રમાણે ઔષધોપચાર કરવો.
* થોડી હરડે કે સૂંઠ નાંખેલું ઉકાળેલું પાણી પીવું.
* એક ચમચી બીલાનું ચૂર્ણ, એક ચમચી ગોળ સાથે મિશ્ર કરી સવારે અને રાત્રે લેવા.
* કુટજાદિ ચૂર્ણ એક એક ચમચી જમ્યા પછી લેવું.
* શતપુષ્પાદિ ચૂર્ણ અડધી ચમચી જેટલું સવારે, બપોરે અને રાત્રે લેવું.
* ઇસબગુલ તથા બીલાના સૂકા ફળનું સમભાગે બનાવેલું ચૂર્ણ અડધી ચમચીની માત્રામાં દિવસમાં ચારેક વખત દહી કે છાશ સાથે લેવું.
ઘરગથ્થુ ઉપચાર
બસો પચાસ ગ્રામ કૌચાબીજ લાવી તેને એક લિટર દૂધમાં ઉકાળી લેવા. પછી તેની ઉપરનાં છોતરાં કાઢી તેના ફાડા કરી બીજના અંકુરનો ભાગ કાઢી નાંખવો. પાણીથી ધોયા પછી સૂકવી લેવા. સુકાય પછી તેનું ચૂર્ણ બનાવી બાટલી ભરી લેવી. આ ચૂર્ણ એટલે કૌચા ચૂર્ણ. નપુંસકતા, શુક્રદોષ, દુર્બળતા- કૃશતા તથા વાયુના રોગમાં આ ચૂર્ણનો ઉપયોગ કરવો.
No comments:
Post a Comment