Wednesday, 14 September 2011

ઉનાળામાં આવતાં ચક્કરના ઉપાયો


 
 
ઘણા દર્દીઓને ઉનાળામાં પિત્તપ્રકૃતિને લીધે ચક્કર આવવાની સમસ્યા સર્જાય છે. ચક્કર એક સેકન્ડથી માંડીને કલાકો સુધી રહે છે. ચક્કર રોજ આવી શકે છે અથવા વર્ષમાં એકાદ-બે વખત આવે છે.

જયેશભાઈને શરીરની અસ્વસ્થતા અને અને ચિંતા રહ્યા કરતી હતી. છેલ્લાં બે વર્ષથી તેમની આ દશા હતી. શરૂઆતમાં અપચો અને આફરો થયો પછી કબજિયાત શરૂ થઇ. થોડો વખત પાતળા ઝાડા રહ્યા. શરીર ગરમ લાગવા માંડ્યું વજન ઓછું થતું ગયું. છાતી, પેટમાં બળતરા થવા લાગી. માથું દુખવા લાગ્યું, મોંમાં ગરમ અને ચાંદાં જણાવા લાગ્યાં. બેચેની લાગવા માંડી. ઓડકાર, ઊલટી, ઊબકા ખૂબ જ આવે. એસિડિટી અને પુષ્કળ ગેસ થાય. સામાન્ય ઘરગથ્થુ ઉપચારો શરૂઆતમાં કર્યા પણ ફેર પડ્યો નહીં. નિષ્ણાતોએ વિવિધ પ્રકારની તપાસ શરૂ કરી. મૂત્રમાર્ગ, રક્ત, એક્સ-રે વગેરેની તપાસ પછી એનિમિયા સિવાય કોઇ બીજી બીમારી જણાઇ નહીં. ડોક્ટરોએ લખી આપેલ સારવાર તો ચાલુ જ હતી. એકંદરે છ માસના ઉપચાર પછી પરિસ્થિતિ યથાવત્ રહી.

આ રોગીને તપાસતાં એવું જણાયું કે રોગ કરતાં હવે રોગના ભયે દર્દીની ચિંતામાં ખૂબ વધારો કર્યો હતો. દર્દીને અમુક પ્રકારના પથ્ય પાલન ઉપર મૂકવામાં આવે તો તેમને રાહત થવાની સારી એવી શક્યતા હતી. આયુર્વેદની દ્રષ્ટિએ માત્ર આ એક અમ્લપિત્તનો રોગ હતો, જેના લીધે દર્દી પરેશાની ભોગવે છે. ઘણા દર્દીઓને ઉનાળામાં પિત્તપ્રકૃતિને લીધે પિત્ત વધી જતાં ચક્કર આવવાની સમસ્યા સર્જાય છે. જયેશભાઈને સૌ પ્રથમ તો ત્રણ માસ સુધી ગાયના દૂધ ઉપર રહેવાનું સૂચવ્યું. ઘઉં, જવ, કપાસિયા ખવડાવેલી ગાયનું દૂધ એ સંપૂર્ણ અને સર્વોત્તમ ખોરાક છે. એના જેવો સાત્વિક-વૈભવશાળી પૌષ્ટિક ખોરાક અન્ય કોઇ નથી. એ વાતની સમજ સાથે રોગીએ શ્રદ્ધા સ્થિર કરીને ચિકિત્સા કરાવવાનો નિર્ણય કર્યો અને નીચે પ્રમાણે ઔષધ યોજના કરી. અવપિત્તિકર ચૂર્ણ, શ્વેતચૂર્ણ, છદ્રીકર ચૂર્ણ, મયૂર પીચ્છભસ્મનું પડીકું સવાર-સાંજ પાણી સાથે, સુતશેખર રસ, પથ્યાદિકવાથ અને કાળી દ્રાક્ષનો ઉકાળો સવારે સાત વાગે, કામદુધારસ ર રતિ સવારે ૧૦ વાગે અને રાત્રે આઠ વાગે.ઉપરોકત પ્રયોગને લીધી પિત્તપ્રકૃતિને કારણે આવતા ચક્કરમાં તો ફાયદો થાય છે, બલકે તમામ પ્રકારના ચક્કરમાં આ પ્રયોગ લાભકારક છે. સવૉઈકલ સ્પોન્ડિલાઈટ્સના લીધે જે ચક્કર આવે છે તેને અટકાવવા ડોક્ટરો માટે પણ મુશ્કેલ બની રહે છે તેમાં પણ ઉપરોકત આયુર્વેદ દવાઓના પ્રયોગથી ફાયદો થાય છે. સવૉઈકલ સ્પોન્ડિલાઈટ્સને કારણે આવતા ચક્કરોનાં લક્ષણો નીચે મુજબ છે.

લક્ષણો: માથું અથવા શરીર ભમતું જણાય, બહેરાશ જણાય, કાનમાં બહેરાશ હોય એવું લાગે, નીસ્ટેગમસ-આંખનો ડોળો ફરતો હોય તેવું જણાય, પડખું ફેરવતી વખતે આંખ-આંખની જયોત ધ્રૂજતી જણાય છે. ચક્કર મટી ગયા પછી પણ આ લક્ષણ ચાલુ રહે છે. ચક્કર એક સેકન્ડથી માંડીને કલાકો સુધી રહે છે. ચક્કર રોજ આવી શકે છે અથવા વર્ષમાં એકાદ-બે વખત પણ થાય છે.

ઉપરોકત લક્ષણો જણાય ત્યારે આ કવાથનું સેવન એકપણ દિવસ પાડ્યા વગર એક મહિના સુધી કરવું. આવા જ દર્દીને કવાથના સેવનના એક મહિના પછી ચક્કર બિલકુલ મટી ગયા. બીજા દર્દીઓને પણ આનાથી લાભ થયો છે.
ઘણી વાર સવૉઇકલ સ્પોન્ડિલાઇટ્સમાં કરોડરજજુના ઉપરના ભાગમાં મણકામાં ઘસારો થવાથી જ્ઞાનતંતુઓ પર દબાણ થતું હોય છે. પરિણામે આજુબાજુ જોતાં સૂતા પછી બેઠા થવાથી ચક્કર આવે છે. સૌપ્રથમ આવા રોગીને ઓશિકા વગર સૂવાની તેમજ સવૉઇકલ બેલ્ટ ગળા ઉપર બાંધી રાખવાની સલાહ આપી. આયુર્વેદમાં એના ઉપચારમાં જુદી જુદી વનસ્પતિઓની પોટલી દ્વારા તેલના શેક કરવા પડે છે.

દુખાવો થતો હોય તો ઓછો કરવા વેદનાનીક રસ આપી શકાય. ત્યારબાદ આ કવાથ સળંગ પંદર દિવસ ચાલુ રાખવા. દવાના નિયમિત સેવનથી ચક્કરની તકલીફ મટી જાય છે. અત્યારે જયેશભાઈને બિલકુલ ચક્કર આવતા નથી.

No comments:

Post a Comment