Sunday, 4 September 2011

આંખ, દાંતની યોગ્ય દરકાર ગાંડપણનું જોખમ ઘટાડે છે


 
દાંત અને આંખની યોગ્ય દરકાર લેવાય તો તે તમારામાં ગાંડપણના વિકાસનું જોખમ ઘટાડવામાં મદદરૂપ હોવાનો નવા અભ્યાસમાં દાવો કરાયો છે. કેનેડિયન વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે કે દાંત અને આંખની નિયમિત તપાસ કરાવવી જોઈએ અને તે શક્ય એટલા સ્વસ્થ અને સક્રિય રહે તેનું ધ્યાન રાખવું જોઇએ, જેનાથી પછીના જીવનમાં ગાંડપણ વિકસવાની કે એવી જ સમાન સ્થિતિનું નિર્માણ થવાની શક્યતાઓ ઘટી જાય છે.

સંશોધકોએ ખરાબ રીતે ફિટ થયેલા દાંતને લીધે પણ માંદગી, દુખાવો વધતાં આર્થરાઇટીસ, નબળી દ્રષ્ટિ અને હાડકાં તૂટવાનું જોખમ વધી જતું હોવાનું જણાવ્યું છે. જોકે તેઓએ તારણ કાઢયું હતું કે આ ફરિયાદોને લીધે જોખમો ધીરે વધે છે. કોઈકને સ્વાસ્થ્યની સમસ્યાઓ બેવડાય તો તેને ગાંડપણની શક્યતા રહે છે, એમ ડેઇલી મેઇલના અહેવાલમાં જણાવાયું હતું.

આંખની ક્ષમતા, શ્રવણશક્તિ, ખાંસી અને શરદી, દાંતની સમસ્યાઓ, ડાયાબિટીસ તથા હાઇ બ્લડપ્રેશર વ્યક્તિમાં અલ્ઝાઇમર્સ અને તેના જેવી સ્થિતિઓનાં નિર્માણમાં કેવી ભૂમિકા ભજવે છે એના પર સંશોધકોએ અભ્યાસ કર્યો હતો. તેઓએ દાવો કર્યો હતો કે સામાન્ય, સ્વસ્થ વ્યક્તિને તેના જીવનના કેટલાક તબક્કે બીમારીની ૧૮ ટકા શક્યતા રહે છે, પરંતુ આ જોખમ તમામ માંદગી અને ફરિયાદ બાદ ૩.૨ ટકા વધી જાય છે.

આ તારણો ન્યૂરોલોજીના જર્નલમાં પ્રગટ કરાયા હતા. એમાં જણાવાયું હતું કે સ્વસ્થ જીવનશૈલી ગાંડપણ રોકવામાં મદદરૂપ થાય છે, એમ સંશોધકોએ કહ્યું હતું. નોવા સ્કોટિયાના હલીફેકસમાંની ડેલહાઉસી યુનિવર્સિટીના પ્રોફેસર ઓફ મેડિસિન ડૉ. કેનેથ સેકવૂડે કહ્યું હતું કે, ‘અમે નાની-નાની ખામીઓની સંયુક્ત અસરો પર ધ્યાન દોરવા માગીએ છીએ કે જે વ્યક્તિગત છે અને દરેકમાં એ લક્ષણો જોવા મળતાં નથી, પણ આ મહત્વની જોખમી બાબતો છે. સામાન્ય લોકો તેમનું સ્વાસ્થ્ય જાળવવા માગે છે, પણ તેઓ નાની બાબતોની અવગણના ન કરે તો લાંબાગાળે તેમને ગાંડપણનું જોખમ ઘટે છે.’

No comments:

Post a Comment